ન્યાય માટે સતર્કતા:
રાજ્યમાં અનેક બળાત્કાર તેમજ શારિરીક શોષણના બનવો વધી રહ્યા છે. દિલ્હીમાં નિર્ભયા કાંડ તેમજ અનેક એવા બળાત્કારના કેસો ના પડઘા આખા દેશમાં પડ્યા છે તેમ છતાંય આવા હેવાનો માસુમ મહિલા, યુવતી તેમજ બાળકી ઓને પોતાના હવસનો શિકાર બનાવે છે. આવા બળાત્કારીઓ કાયદાકીય રમત રમીને પુરાવાના અભાવે છૂટી જાય છે જેના કારણે ભોગબનનાર ને ન્યાય મળતો નથી. ન્યાય મળે અને બળાત્કારી જેલની સળિયા પાછળ ધકેલાય તે માટે ભોગબનનારને પૂરતી સતર્કતા રાખવી અનિવાર્ય છે.
અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલ વિદ્યાનગર સ્કૂલની સામે ના કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરવતા અને સિટી સિવિલ કોર્ટના ધારાશાસ્ત્રી આનંદ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની કિંજલ આનંદ બ્રહ્મભટ્ટે બળાત્કારના અનેક કેસીઝમાં પોતાની બહુમુલી વકીલ સેવાઓ આપેલ છે અને તે પૈકી તેઓએ બળાત્કારનાં કેસમાં ફસાયેલાં કેટલાંય નિર્દોષ વ્યક્તિઓને દોષમુક્ત કરવામાં તેમજ કેટલાંક સાચેજ દોષિત હોય તેવા નરાધમોને સજા અપાવવામાં મહત્વની ફરજ અદા કરી છે. તેમના મતે બળાત્કાર જેવા ગંભીર કેસમાં ભોગબનનારે શું સાવધાની રાખવી તે અંગે મહત્વની જાણકારી આપી છે ..
“સેકસુઅલ વાયોલન્સ” એ એક વિકટ વૈશ્વિક સમસ્યા : ‘ગ્લોબલ પ્રોબ્લેમ’
દુનિયા ભરના પ્રત્યેક દેશમાં વિસ્તરેલી તમામ સ્તરની સંસ્કૃતિમાં “બળાત્કાર” યા “સેકસુઅલ વાયોલન્સ” એ એક ઘર કરી ગયેલું સાર્વત્રિક દુષણ છે અને ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન’(WHO) થકી બહાર પાડવામાં આવેલ “Guidelines for Medico-Legal Care for Victims of Sexual Violence” નામની માર્ગદર્શિકાની પ્રસ્તાવનામાં જ ટાંકેલ છે કે દુનિયાભરમાં “સેકસુઅલ વાયોલન્સ” વિષય પર થયેલ વિવિધ સર્વેમાં દર પાંચ સ્ત્રીઓમાં સરેરાશ એક સ્ત્રી પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના વાયોલન્સનો ભોગ થઇ પડતી હોય છે.
વધુ એક સર્વેમાં તો એમ પણ બહાર આવેલ છે કે દુનિયાની એક તૃતીયાંશ સ્ત્રીઓ સાથે જાતિગત આવેગોનો પ્રથમ પરિચય બળપૂર્વક થાય છે. ટૂંકમાં કહીએ તો “સેકસુઅલ વાયોલન્સ” એ એક ગંભીરથી અતિ ગંભીર કહી શકાય તેવી સમસ્યા છે; જેને બીજા શબ્દોમાં GLOBAL PROBLEM તરીકે ઓળખાવવી વધુ યોગ્ય રહેશે.
પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરને લઇ તેમજ દ્રશ્ય શ્રાવ્ય સંસાધનોનાં નિરંકુશ વ્યાપને લઇ આ પ્રકારની સમસ્યા વકરી છે. પરંતુ તેને નાથવાના કે ડામવાના કોઈ ઠોસ પગલાં જેટલી નક્કરતાથી સરકારે તેમજ સમાજે એક સાથે ઊભા રહીને લેવા જોઈએ તેટલા પગલાં આપણી કહેવાતી એવી સભ્ય સંસ્કૃતિમાં પણ હજુ સુધી લેવાયેલ નથી. આપણી પાસે બળાત્કાર પીડિતાને માર્ગદર્શિત કરતી કોઈ પ્રાથમિક કક્ષાની માર્ગદર્શિકા પણ હાલ ઉપલબ્ધ નથી.
આથી, ‘ક્રાઈમ શો ૨૪’ વતી કરેલ એક પહેલના ભાગ રૂપે અમોએ અમદાવાદ શહેરના નામાંકિત એવા “બળાત્કાર / પોક્સો” યા “સેકસુઅલ વાયોલન્સ” વિષય સંબંધિત હાલ સૌથી વધુ ગંભીર ફોજદારી કેસીઝ લડનાર વકીલ આનંદ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની કિંજલ આનંદ બ્રહ્મભટ્ટની ખાસ મુલાકાત લીધી અને તેમની આ મુલાકાતમાં આ વિદ્વાન વકીલો આ વિષય પરના બહોળા અભ્યાસ અને અનુભવના નીચોડ પર તૈયાર કરેલ બળાત્કાર પીડિતા માટેની એક ખાસ માર્ગદર્શિકાને અત્રે સર્વ જનહિતાય રજુ કરવા અમોને સોંપેલ છે.
બળાત્કાર પીડિતાએ ધ્યાન રાખવાની અગત્યની વિગતો
૧. પીડિતાએ પોતે તાત્કાલિક પણે અમલમાં મુકવાની બાબતો :
બળાત્કાર પીડિતાએ બનાવબાદ તુરંત જ શું કરવું ?
(એ) પ્રથમ પગલા રૂપે પોતાની જાતને કોઈ ગરમ કપડાં જેવા કે શાલ કે ધાબળા વડે યા કોટથી ઢાંકી દેવી.
(બી) તમે જે જગ્યાએ ફસાયેલ હોય ત્યાં તમારી જાતને સંતાડવી કે રૂમમાં બરાબર બંધ કરી દેવી કે પછી સુરક્ષિત સ્થળે ખસી જવું શક્ય હોય તો બનાવના સ્થળ પરથી ઝડપથી ખસી જવું.
(સી) પોતાની જાતને સુરક્ષિત કરી સગા-સંબધી યા મિત્રને તમારી પાસે બોલાવી લેવા અને શક્ય હોય તો બળાત્કાર સંબંધિત કાયદાના જાણકાર વકીલનો પ્રથમ સંપર્ક કરવો અને જરૂરી સલાહ-સુચન મેળવી પોલીસનો તેમજ દાક્તરનો પણ વેળાસર સંપર્ક કરવો.
(ડી) બનાવ સંબંધિત તમે જે કાંઈ વિગત જાણતા હોય તેની તાત્કાલિક નોંધ કરી લેવી યા કરાવી દેવી.
(ઈ) મનના આવેગો અને પીડાને શાંત કરવા પોતાની સાથે બનેલ બનાવની તમામ વિગતો પોતાના અત્યંત અંગત વિશ્વાસપાત્ર મિત્ર યા સ્નેહીને કહેવી.
બળાત્કાર પીડિતાએ બનાવબાદ તુરંત જ શું ન કરવું ?
એ) સૌ પ્રથમ સામાન્ય પ્રતિક્રિયા સ્વરૂપે કોઈપણ પીડિતા પ્રથમ સ્નાન કરવાનું પસંદ કરશે જે બાબત સર્વથા ટાળવી યાને કે કોઈ પણ સંજોગોમાં બળાત્કાર થયા બાદ દાકતરી સારવાર પહેલાં પીડિતાએ તુરંત ન્હાવું જોઈએ નહિ.
બી) દાકતરી સારવાર પહેલાં દાંત સાફ કરવા નહિ કે કોગળા કરવા નહિ તેમજ વાળ ઓળાવવા નહિ.
સી) દાકતરી સારવાર પહેલાં ઝાડો પેશાબ કરવા જવું નહિ.
ડી) દાકતરી સારવાર પહેલાં કપડાં બદલવા નહિ.
ઈ) દાકતરી સારવાર પહેલાં કંઇ ખાવું-પીવું નહિ.
એફ) સઘન પોલીસ યા ફોરેન્સિક તપાસ પહેલાં બનાવના સ્થળે પડેલ વસ્તુઓને અડવી યા આઘી પાછી કરવી / કરવા દેવી નહિ.
જી) શક્ય હોય ત્યાં સુધી પોતે એકલા ન રહેવું તેમજ પોતાની જાતને દોષિત ના માની પોતાની પ્રત્યે ઘૃણા ના રાખવી યા બીજા શબ્દોમાં કહીએ તો આવનાર સામાજિક પરિણામોની ચિંતાઓ ન કરવી.
૨. મેડીકલ તપાસ માટે પોતાની જાતને પીડિતાએ તૈયાર કરવી
(એ) બળાત્કાર પીડિતા માટે દાકતરી સારવાર પોલીસ કાર્યવાહી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે અને તેથી ફરિયાદ પહેલાં તેને પ્રથમ દાકતરી સારવારને અમલી બનાવવી.
(બી) દાકતર રૂબરૂ તમારો નામ જોગ પરિચય, તમારા ખાસ ઓળખ ચિહ્નો તેમજ બનાવની વિગત જેમાં ખાસ કરીને ‘બળાત્કાર ગુજારનારનું પૂરું નામ-સરનામું (જાણતા હોય તો તેની વિગત) તેમજ જો બળાત્કારી અજાણ્યો ઇસમ હોય તો તેની ઓળખ છતી કરતા ચિહ્નો કે તેને લઇ કોઈ ખાસ નોંધપાત્ર બાબત ’, ‘બનાવનું સ્થળ’ અને ‘તારીખ-સમય’ સહિતની ‘બળાત્કાર કેવી રીતે કરેલ’ તે અંગેની સચોટ વિગત લખાવવી અને તે વિગતને બરાબર પોતે વાંચી તેની નકલ પણ તાત્કાલિક પણે મેળવી લેવી.
(સી) દાકતરી તપાસ દરમિયાન દાક્તરને પુરેપુરો સહકાર આપવો તેમજ પોતાને થયેલ ઈજા યા દુ:ખાવા અંગેની વિગતો જણાવવી તેમજ ગુપ્ત પ્રદેશમાંથી દાકતર સાહેબને નમુના લેવા દેવા સંમતિ આપવી યા પોતે નમુના લેવા માટે દાકતર સાહેબ પાસે ખાસ આગ્રહ રાખવો.
(ડી) શક્ય હોય ત્યાં સુધી બનાવ વખતે પોતે પહેરેલ તમામ કપડાં દાકતર રૂબરૂ જ રજુ કરવા.
(ઈ) કોઈ કૈફી યા માદક પદાર્થ યા નશાયુકત પીણું પીવડાવીને જો બળાત્કાર ગુજારવામાં આવેલ હોય તો વિના વિલંબે લોહી તેમજ ઝાડો-પેશાબની તપાસ પણ અન્ય નમૂનાઓ સાથે કરાવવાનો આગ્રહ રાખવો.
(એફ) પોતાના શરીરમાંથી લીધેલ નમુનાને આરોપીના શરીરના નમુના સાથે સરખાવવા ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો દાકતર પાસે અચૂક આગ્રહ રાખવો.
(જી) દાકતરી સારવાર વખતે તમે વિના સંકોચે દાક્તરને તમારા મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો અને તેના જવાબ આપવા પ્રત્યેક દાકતર બંધાયેલા છે તે વાત મનમાં અંકિત રાખવી અને તેજ રીતે દાકતર સાહેબ જે જે પ્રશ્નો પૂછે તે તમામના વિના સંકોચે સચોટ જવાબ આપવા.
(એચ) તમને કોઈ દેખીતી શારીરિક ઈજા થયેલ હોય તો તમારે દાકતર સાહેબ પાસે તેના ફોટોગ્રાફ્સ લેવડાવવાનો પણ ખાસ આગ્રહ રાખવો.
(આઈ) તમે જે બળાત્કારીના શારીરિક સંસર્ગમાં આવેલ છો તે HIV ગ્રસ્ત હોય તો તમને પણ તે થવાની સંભાવના રહે છે અને તેને લઇ તમારે એક થી ત્રણ મહિના સુધી સમયાંતરે દાકતરી સલાહ મુજબ લોહી પરીક્ષણ કરાવવું અને જરૂર પડ્યેથી બળાત્કારી HIV ગ્રસ્ત છે કે કેમ તે અંગે તમે તેનું શારીરિક પરીક્ષણ કરાવવાની અદાલત પાસે ન્યાયિક દાદ પણ માંગી શકો છો.
૩. પોલીસ ફરિયાદ માટે પીડિતાએ સજાગ થવું :
પોતાની જાતને પોલીસ ફરિયાદ માટે બળાત્કાર પીડિતાએ તૈયાર કરવી એ બાબત ભારતીય સંસ્કૃતિની કોઈ પણ સ્ત્રી જાતિની સદસ્ય માટે એક કપરી પરીક્ષા બની રહે છે. જે માટે નીચેના મુદ્દાને તેણીએ અવશ્ય ધ્યાને રાખવા જોઈએ.
(એ) ફરિયાદ કરવાથી પોતાની બદનામી થશે તે પ્રથમ સંકોચ પીડિતાને સર્વથા રહે છે ; અને તે સંકોચ દુર કરવા બળાત્કારના કેસીઝ પર જે વિશેષ પણે કામ કરતા હોય તેવા વકીલ મિત્રનો તેમજ દાક્તરનો ફરિયાદ દાખલ કરવા જતાં પૂર્વે વિના વિલંબે પ્રથમ સંપર્ક કરવો અને જરૂર પડ્યેથી કોઈ નિપુણ મનોચિકિત્સકનો મનોબળ વધારવાને લઇ ખાસ કરીને સંપર્ક કરવો.
(બી) બળાત્કાર પીડિતા તરીકે તમારા ખાસ હક્કોને ધ્યાને લઇ ફરિયાદ દાખલ કરાવવી અને તે વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફરિયાદ લેનાર પોલીસ અધિકારી, તમને તપાસનાર દાકતર તેમજ તમને કાયદાકીય સલાહ આપનાર વકીલ તમારા આત્મ ગૌરવનું, સન્માનનું અને તમારી સંવેદનશીલતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે કેમ તેમજ તમને યોગ્ય રીતે સાંભળે છે કે કેમ તેમજ તમને તમારો જોઈ તો પ્રતિસાદ તેમના તરફથી મળે છે કે કેમ તે ખાસ ધ્યાને લેવું.
(સી) તમે બોલો છો તે મુજબ જ અક્ષરશઃ તમારી ફરિયાદ યા જવાબ યા નિવેદન પોલીસ લખે છે કે કેમ તે ખાસ ચકાસી લેવું અને વાંચીને યા કાયદાના જાણકાર વ્યક્તિને સાથે રાખીને બનાવ સબબ પોલીસે લખેલ લખાણને વંચાવીને તે લખાણ પર તમારી સહી કરવી અને તમે લખાવેલ લખાણની તમારી નજર સામે જ વિના વિલંબે તાત્કાલિક નકલ મેળવી લેવી.
(ડી) બનાવ સબબ જો કોઈ મહત્વની વિગત પ્રથમ વખતે ફરિયાદમાં યા નિવેદનમાં લખાવવાની રહી ગયેલ હોય તો તેવી વિગતને લઇ તમે પોલીસ રૂબરૂ તમારો વિશેષ યા વધારાનો જવાબ પણ પાછળથી કાયદેસર રીતે લખાવાવાને હક્કદાર છો અને તે અવશ્ય લખાવવો અને જરૂરી જણાય તો તમે જે તે બનાવ બનેલ વિસ્તારના સંબંધિત મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ તમારું નિવેદન પણ બંધ બારણે આપી શકો છો.
૪. પીડિતાએ કોર્ટ કાર્યવાહી માટે સતર્ક અને સુસજ્જ બનવું :
(એ) સામાન્ય રીતે બળાત્કાર પીડિતા કે પછી કોઈ પણ ગુનાનો ભોગ થઇ પડનારના ન્યાયિક નેતૃત્વનો ભાર સરકાર તરફે નિયુક્ત એવા સરકારી વકીલોને શિરે જ હોય છે પરંતુ પ્રત્યેક કિસ્સાઓમાં સરકારી વકીલ સાહેબો કામના ભારને લઇ યા અગમ્ય એવા કોઈ કારણોસર પીડિતાને યોગ્ય ન્યાય અપાવી શકતા નથી તેવી વખતે બળાત્કાર પીડિતા પોતે પોતાના હક્કોના રક્ષણ માટે લડવા સંવેદનશીલ તેમજ જાગૃક હોય તેવા અંગત વકીલ પણ રોકી શકે છે.
(બી) પીડિતા આરોપી થકી જામીન અરજી દાખલ કરવામાં આવે તો ત્યારે તે જામીન અરજીનો પણ તેણી પોતે યા પોતાના અંગત વકીલ થકી વાંધા અરજી દાખલ કરી વિરોધ નોંધાવી શકે છે.
(સી) પીડિતાને લઇ કોર્ટની કાર્યવાહી સાવ જુદી અને બંધ બારણે જ થતી હોય છે અને કોર્ટ કાર્યવાહી વેળાએ કોર્ટ રૂમમાં જજ સાહેબ, સરકારી વકીલ, પીડિતા (અને તેના અંગત વકીલ જો હોય તો), આરોપી અને તેના વકીલ તેમજ કોર્ટનો જરૂરી સ્ટાફ જ ત્યાં બેસે છે. એટલે કે કોર્ટ રૂબરૂ પીડિતા પોતાની વિતક કથાને કોઈપણ જાતના ક્ષોભ કે ખચકાટ વિના રજુ કરી શકે તેવું ખાસ વાતાવરણ તેણીને પૂરું પાડવામાં આવે છે.
(ડી) કોર્ટ રૂબરૂ પીડિતાએ સરકારી વકીલને અને જરૂર પડ્યેથી અંગત વકીલને પણ સાથે રાખીને પોતાની જુબાની વિના સંકોચ તેમજ ક્રમશઃ આપવાની રહે છે અને જો કોઈ વિગત સરકારી વકીલ સાહેબ થકી છૂટી જતી હોય તો તેને વિના વિલંબે પોતે યા પોતાના અંગત વકીલ થકી નામદાર કોર્ટના ધ્યાને લાવવાની રહે છે.
(ઈ) કોર્ટ રૂબરૂ આરોપીના બચાવના કામે રોકેલ વકીલ સાહેબ ઉપર ઉશ્કેરાયા વિના તેમના તમામ પ્રશ્નોના પ્રશ્ન પ્રમાણે સમજી વિચારી જરૂરી સમય લઇ ધીરજ પૂર્વક સચોટ જવાબ આપવાના રહે છે અને જો કોઈ પ્રશ્ન ના સમજાય કે ના સંભળાય તો તે પ્રશ્ન ફરીથી પૂછવાનો કે ફરીથી જુદી રીતે પૂછવાનો પણ તમે કોર્ટનું ધ્યાન દોરીને બચાવ પક્ષના વકીલ સાહેબ પાસે આગ્રહ રાખી શકો છો. પ્રશ્નનો જવાબ ના આવડતો હોય તો સપષ્ટ પણે તેનો નકારાત્મક જવાબ આપવો જેમ કે “મને ખબર નથી.”; પણ અનુમાન થકી જવાબ આપવા નહિ અને પોતાની જાતે શક્ય હોય ત્યાં સુધી વણજોઈતા ખુલાસા કરવા નહિ.
(એફ) કેસના આખરી તબક્કે દલીલોના ચરણ પર પીડિતા પોતે યા પોતાના અંગત વકીલ થકી લેખિત દલીલોનું આવેદન પત્ર રજુ કરી શકે છે તેમજ આરોપીને તકસીરવાર ઠેરવતાની સાથે જ સજા જાહેર કરતા પૂર્વે તમે વળતર માટેની ખાસ દાદ પણ માંગી શકો છો.
(જી) બળાત્કાર પીડિતાને સરકારી સહાય આપવાના નામદાર સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શક ચુકાદા અન્વયે ભોગબનનાર ફરિયાદ દાખલ થયેથી જ સરકારી સહાય મેળવવાને હક્કદાર બને છે અને તે માટે તેણે કાયદાના જાણકારની સલાહ લઇ જરૂરી અરજી વેળાસર દાખલ કરવાની રહે છે અને સદર અરજી મંજુર થયેથી રૂપિયા ૩ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.
નોંધ : પ્રિય વાચક ગણને એક નમ્ર નિવેદન છે કે તેઓ આ માર્ગદર્શિકાની એક નકલ પ્રત્યેક પોલીસ મથકમાં, પબ્લિક ઇન્સ્ટીટ્યુટ તેમજ વિવિધ સરકારી અને અર્ધસરકારી કાર્યાલયમાં તેમજ શાળા-કોલેજમાં જાહેર નોટિસ પર મુકવામાં મદદરૂપ થાય જેથી કોઈ ગુનેગાર કાયદાનાં સકંજામાંથી સરળતાથી છૂટી ના જાય અને ન્યાયિક પ્રક્રિયાની કસુવાવડ થતી અટકાવી શકાય.